પ્રારંભિક
અમે ગુજરાત રાજયના અંતરીયાળ અને સરહદી વિસ્તાર જેવા કે ઉમરગામ, સંજાણ, વાપી, ધરમપૂર, વાંસદા, અનાવલ, ઉનાઇ, બાજીપરા, કડોદ, માંડવી, નસવાડી, ઝંખવાવ, નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, વસંતપૂરા, ગોરા, બોડેલી, છોટાઉદેપૂર, દેવગઢબારીયા, ગોધરા, દાહોદ, લીમડી, ઝાલોદ, સંતરામપૂર, લુણાવાડા, પાંડરવાડા, બાકોર, બોરસાઇ, ગાંધીનગર, રાંધેજા, પ્રાંતિજ, હિમ્મતનગર, રાજેન્દ્રનગર, શામળાજી, ભીલોડા, ઇડર, વડનગર, મહેસાણા, વિસનગર, કરલી, ખેરાળુ, વડગામ, પાલનપૂર, સિધ્ધપૂર, ઊંઝા અને પાટણ સુધી અમારા અંગત વાહન દ્વારા, અંગત બચતમાંથી સ્થાનિક બાળકો, યુવાનો તેમજ મહિલાઓને નિઃશુલ્ક ધોરણે જીવનોપયોગી જાણકારી પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા આપવા માર્ગદર્શન ગુજરાત યાત્રા તા.૨૨.૧૧.૨૦૦૯ થી તા.૨૮.૨.૨૦૧૦ દરમ્યાન કરી.
સમગ્ર પ્રવાસ દરમ્યાન આશરે ૬૦,૦૦૦ થીય વધૂ જેટલા બાળકો, યુવાનો તેમજ મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યા બાદ લાગે છે કે,
રાજયના શિક્ષણ જગતમાં સરકાર દ્વારા લેવાતી કાળજીના પરિણામ જે આવવા જોઇએ તે નથી આવી રહ્યા.
ઉપર જણાવેલ વિસ્તારોની શૈક્ષણિક સંસ્થાઓ અને ત્યાં ફરજ બજાવી રહેલા શિક્ષકો મહદ અંશે વર્તમાન જરૂરીયાત કરતાં ‘ઉપરથી આવેલ આદેશ’ને વળગીને ચાલવાની વૃત્તિ રાખતાં જણાયા છે.
કાગળ પરના રીપોર્ટ અને વાસ્તવિક પરિસ્થિતી વચ્ચેનો ભેદ પાતળો નથી.
જેનો ભોગ નીશ્ચિત રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓજ બને.
આપણી શિક્ષણ પ્રથા, વ્યવસ્થા, પધ્ધતિના થઇ રહેલા વ્યાવસાયીકરણના લાભ કરતાં વધારે નુકશાન થઇ રહ્યાનો સાડા પાંચ કરોડમાંનો સાદી, સરળ, સંસ્કારી જીન્દગી જીવવા મથી રહેલો છેલ્લો ગુજરાતી મોંઘાદાટ અને અતિશય સ્પર્ધાત્મક થઇ ગયેલ શિક્ષણ મેળવવા આ કાળઝાળ મોંઘવારીમાં વ્યવસ્થા તો ઠીક, વિચારેય કરી શકવા અસમર્થ થતો જાય છે.
નિયમો પાળવા માટે અને યોજનાઓ સામુહિક વિકાસ માટે બનાવવામાં આવતી હોય છે પણ જયારે નિયમો તોડવા અન યોજનાઓ વ્યક્તિગત લાભલક્ષી બનતી જણાય ત્યારે કોને કહેવું ?
છઠ્ઠા પગારપંચે વધારી આપેલ વેતનની અસર વિદ્યાર્થીઓના ગુણપત્રક પર કયારે દેખાશે ?
અપવાદ તો બધે હોય જ.
ગુજરાતના સંસ્કાર, ગુજરાતની અસ્મિતા, ગુજરાતની પરંપરા … સૌનો સરવાળો એટલે ‘ગુજરાતી’.
ભારતના સંસ્કાર, ભારતની અસ્મિતા, ભારતની પરંપરા … સૌનો સરવાળો એટલે ‘ભારતીય’.
વંદેમાતરમ.